ગુજરાતના ચાંદોદ ખાતે ગંગા દશાહર પર્વની ઉજવણીનું આયોજન
ડભોઇ તાલુકાના યાત્રાધામ ચાંદોદના ઐતિહાસિક મલ્હારરાવ ઘાટ ખાતે જેઠ સુદ એકમ થી જેઠ સુદ દશમ સુધી ગંગા દશાહર પર્વની ધામધૂમથી ઉજવણી કરાશે
મા ગંગાના ધરા અવતરણના દિવસને ગંગા દશાહરા તરીકે ઓળખવામાં આવે છે. હિન્દુઓની ધાર્મિક માન્યતા અનુસાર ગંગા દશાહરાના દિવસે વહેલી સવારે ગંગા સ્નાન કરવાથી અને માતા ગંગાજીની આરતી કરવાથી તમામ પાપોનો નાશ થાય છે ગંગામાં સ્નાન કર્યા બાદ દાનનું પણ વિશેષ મહત્વ રહેલું છે. આ દિવસો દરમ્યાન મા નર્મદામાં સ્નાન કરવાથી પણ ગંગામાં સ્નાન કરવા જેટલું ફળ પ્રાપ્ત થાય છે. આગામી જેઠ સુદ એકમથી જેઠ સુદ દશમ નર્મદા નદીના તટ પર ઐતિહાસિક મલ્હારરાવ ઘાટ પર ગંગા દશાહરાનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવનાર છે હાલ ચાલુ વર્ષે તા.૨૦ મેથી ૩૦ મે સુધી ગંગા દશાહરા પર્વની ઉજવણી ધામધૂમથી કરવામાં આવશે જેમાં બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્ર દ્વારા નર્મદાજીનું પૂજન, અભિષેક અને આરતી કરવાવામાં આવે છે.
ગંગા દશાહરા નિમિત્તે નર્મદાજીના તટ પર આવેલ વિવિધ તીર્થ ક્ષેત્રે ૨૫ થી વધુ ગામોમાં નર્મદા નદીના તટ પર ભક્તો દ્વારા મા ગંગાજીના આગમનને વધાવવા ગંગા દશાહરા દરમિયાન અંદાજિત ૧૫૦૦ થી વધુ સાડી(ચુંદડી) અર્પણ કરી ધન્યતા અનુભવે છે.
ડભોઇ તાલુકાના યાત્રાધામ ચાંદોદ ખાતે ગંગા દશાહરાના પાવન પર્વ પર દસ દિવસ દરમિયાન વડોદરા,ભરૂચ,સુરત,અમદાવાદ, મહારાષ્ટ્ર જેવા મોટા શહેરોમાંથી મોટી સંખ્યામાં ભક્તો નર્મદાજી કિનારે પહોંચી મા નર્મદાજીનો ચુંદડી મનોરથ, અભિષેક, આરતી કરી ધન્યતા અનુભવે છે. ત્યારે મહાપુણ્યકારી ગંગા દશાહરાના પર્વ નિમિત્તે ચાંદોદના સમસ્ત ગ્રામજનો દ્વારા દરેક ભક્તોને મહા આરતી, ચુંદડી મનોરથનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવેલ છે. જેમાં પ્રતિદિન આરતી નો સમય સાંજે ૬.૦૦ કલાકે રહેશે તો દરેક ભક્તોને આ પર્વ નિમિત્તે લાભ લેવા વિનંતી કરવામાં આવી છે.
Leave a Reply